Pages

Thursday 22 February 2018

નરસિંહ મહેતા - Narsinh Mehta

નરસિંહ મહેતા (Narsinh Mehta) એટલે ગુજરાતી ભાષાના આદિકવિ (Adi poet) કે ભક્તકવિ(Bhakta kavi), અને નરસી ભગત (Narrsi Bhagat) કે ભક્ત નરસૈયો (Bhakt Narsaiyo) જેવા લોકપ્રિય નામથી આપણે જેને ઓળખીયે છીએ. ગુજરાતી ભાષાના અણમોલ રત્ન સમાન નરસિંહ મહેતાને ઊર્મિકાવ્યો, આખ્યાન, પ્રભાતિયા અને ચરિત્રકાવ્યોના આરંભ કરનાર માનવામાં આવે છે. જેના દ્વારા રચાયેલા પ્રભાતિયા આપણને સવારે સાંભળવા મળે છે, જેના ભજનો અને કાવ્યો પાંચસો વર્ષોથી વધુ સમય વીતી ગયો હોવા છતાં પણ આજે લોકોના મનમાં તાજા છે, લોકો ભાવથી આ પદોને ગાય છે. ૧૫મી સદીમાં ભારતમાં જે ભક્તિ અંદોલનની શરૂઆત થઇ તેમાં ગુજરાતને ભક્તિનો રંગ લગાવનાર કવિ નરસિંહ મહેતાએ. જેમણે ભક્તિમાર્ગ અને જ્ઞાનમાર્ગના રહસ્યોને સૌપ્રથમ વાર કવિતાઓ અને ભજનો દ્વારા સરળ ભાષામાં લોકો સુધી પહોંચાડ્યા. નાગર જેવી ઉચ્ચી જાતમાં જન્મ થયેલો હોવા છતાં અછુતવાસમાં જઈને ભજનો ગાયા, લોકોને નાત-જાતના અને જ્ઞાતિ ધર્મોના ભેદોથી ઉપર ઉઠાવી સહુ કોઈ હરિના જન(ભગવાનના સંતાન)છે એવી સમજણ આપી. આવા ક્રાંતિકારી વિચાર ધરાવનાર નરસિંહ મહેતાને ભારતના રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી એટલે આપણા બાપુ પણ પોતાના આદર્શ માનતા હતા. બાપુનું સહુથી પ્રિય ભજન વૈષ્ણવજન એ નરસિંહ મહેતાએ રચેલું છે.